ભારતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ઘરે પહોંચી અને તેમનું સન્માન કર્યું હતું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. અડવાણીની ખરાબ તબિયતના કારણે તેમના ઘરે જઈ સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિએ શનિવારે (30 માર્ચ) રાષ્ટ્રપતિ ભવન ખાતે 4 વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન એનાયત કર્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોને આ સન્માન મળ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું.
